You are currently browsing the daily archive for April 2nd, 2009.
ગુજરાતમાં આવેલ ત્રણ શક્તિપીઠોમાંની એક અને ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ચુંવાળ પંથક તરીકે પ્રસિદ્ધ એવા બહુચરાજીમાં આવેલ બહુચરાજીમાતાના મંદિરનું માહાત્મ્ય ઘણું છે. ગુજરાતના જૂના પાટનગર પાટણની આસપાસ જે સ્થાનો છે તેમાંનું આ એક બહુચરાજી છે. ચૈત્ર સુદ પૂનમ એ બહુચરાજીમાતાનો પ્રાગટય દિવસ છે. આ દિવસે દેશભરમાંથી માઇભક્તો માના દર્શન કરવા માટે પગપાળા અને વાહનોમાં લાખોની સંખ્યામાં ઉમટી પડે છે. ભાદરવી પૂનમે જેમ અંબાજીમાતાનું મહત્ત્વ છે તેમ ચૈત્રી પૂનમે બહુચરાજીનું અનેરું મહત્ત્વ છે. પૂનમના એક અઠવાડિયા પહેલાંથી અહીં મોટો મેળો ભરાવો શરૃ થઇ જાય છે જે પૂનમ સુધી ચાલે છે. આ દિવસોમાં અહીં નાયકભાઇઓ દ્વારા ભવાઈ પણ થાય છે. આ મેળાનું ખાસ્સંુ મહત્ત્વ છે. વિશાળ ઘેરાવામાં પથરાયેલા બહુચરાજી માતાના સ્થાનકમાં વિશાળ ચાચરચોક છે. સંવત ૧૮૩૫થી આ મંદિરનું બાંધકામ શરૃ કરવામાં આવ્યું હતું અને સંવત ૧૮૩૯માં પૂર્ણ થયા પછી તેમાં માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી.
આ વિશાળ દેવસ્થાનની ચારે તરફ ફરતો કોટ-કિલ્લો બાંધવામાં આવ્યો છે. ચારે તરફ બુરજો અને ત્રણ મોટા દરવાજા છે. દેવાલય પૂર્વાભિમુખે છે. ઊંચી બાંધણી પર આખું મંદિર છે. માતાજીનું મંદિર પથ્થરનું બનાવેલું છે. તેમાં ઉત્તમ કારીગરી કરવામાં આવી છે. આ મંદિર ૧૫ મીટર લાંબું અને નવ મીટર પહોળું છે. આ મંદિરની ઉપર ઘુમ્મટ અને એક શિખર છે. ગર્ભગૃહ આગળ વિશાળ મંડપ છે. મંડપના ઘુમ્મટમાં અને થાંભલા ઉપર રંગેલી પૂતળીઓ છે. મંદિર પાસે જ એક અગ્નિકુંડ આવેલો છે. મંદિરમાં જે છૂટી જગ્યા છે એ જગ્યાને ચાચરનો ચોક કહેવાય છે.

Recent Comments